For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

ફિલ્મો, નાટકો ને બીજું ઘણું બધું – સૌમ્ય જોશી સાથે

ફિલ્મો

ફિલ્મો, નાટકો ને બીજું ઘણું બધું – સૌમ્ય જોશી સાથે

સૌમ્ય જોશી એક એવું નામ કે એક એવા લેખક કે જેમના લખેલા નાટકો, ગીતો, વાર્તાઓ, કવિતાઓની નોંધ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લેવાય છે. તેમના લિખિત નાટકો કે જેમના ૩૦૦-૫૦૦ શોસ perform થયા હોય કે પછી એમના લિખિત સંવાદો કે જે બોલીવુડની ફિલ્મોમાં પણ સાંભળતા હોઈએ કે પછી એમના લિખિત ગીતો કે જે કંઠે છપાઈ ગયા હોય આ સૌ રીતે આપણે તેમને ઓળખીએ છે. જલસો પર સૌમ્ય જોશી સાથે વિશેષ સંવાદ થયો જેમાં તેમણે તેમના કારકિર્દીની શરુઆતથી લઇ ને એમના નોંધનીય લેખન અને દિગ્દર્શન વિષે, ગુજરાતી નાટક અને ફિલ્મોની વર્તમાન પરિસ્થતિ વિષે તેમજ તેમની કવિતા, ગીતો એમ વગેરે વિષયો ઉપર વાત કરી અને એક લેખકે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તેમજ કઈ રીતે એક સારી સ્ક્રીપ્ટ તૈયાર થઇ શકે તેના ઉપર તેમણે વિગતે વાત કરી.

સમય તમારી સાથે કઈ રીતે વરતી રહ્યો છે જેવા સુંદર પ્રશ્નનો સચોટ રીતે જવાબ આપતા સૌમ્ય જોશી સાહેબ કહે છે કે,”મને એ મૂંઝવણ રહેતી હોય છે કે હું સમયની સાથે કઈ રીતે વરતું છું, કારણ કે એ વાત હંમેશા મનમાં રહે છે કે હું સમયને સારી રીતે utilize નથી કરી શકતો, જે હજી સારી રીતે મારે કરવું જોઈએ, મને પણ એમ ઘણી વાર થાય કે ઘણું બધું કરવા જેવું છે પણ હું કરતો નથી પણ મને મારા કલાકાર હોવા કરતાં માણસ હોવાનો રોમાંચ વધારે છે, અને એટલે જ મને એમ લાગે કે મારી અંદર રહેલા artist કરતાં મારી અંદર રહેલા માણસને એ સમયની વધુ જરૂર છે”.

એક લેખક સારો લેખક કઈ રીતે બની શકે

હાલમાં તેઓ સ્વરચિત ગુજરાતી સ્ક્રીપ્ટ ઉપર કામ કરી રહ્યા છે અને ટૂંકજ સમયમાં આપણે તેમને ફિલ્મના દિગ્દર્શક તરીકે પણ જોઈશું અને તેનાજ અનુસંધાને તેઓ કહે છે કે,”બોલીવુડ industry હોય કે પછી ગુજરાતી ફિલ્મ industry દરેક ફિલ્મ માટે સૌપ્રથમ સ્ક્રીપ્ટ ઉપર ભાર મૂકવો જોઈએ જેથી દર્શક એ ફિલ્મની સાથે એટલો વધુ connect થઇ શકે પછી ફિલ્મની બાકીની process માટે ભાર આપવો જોઈએ. બસ એ જ રીતે હું પણ જયારે મારી લખાયેલી સ્ક્રીપ્ટથી એકદમ સંતુષ્ટ થઈશ એટલે ફિલ્મના production અને બાકીની પ્રોસેસ ઉપર ભાર મૂકીશ.”

સ્ક્રીપ્ટનું બંધારણ કેવું હોવું જોઈએ તે વિષે તેઓ જણાવતા સૌપ્રથમ એક રમૂજી વાત કરે છે કે,”કોઈ પણ scriptwriter જયારે સ્ક્રીપ્ટ લખવાની શરુઆત કરે ત્યારે પહેલા આસ્થિક writer ઈશ્વરનું નામ લખતો હોય છે કે પછી નાસ્તિક હોય તો કદાચ કંઈ ના લખતા હોય પણ એક વાત જરૂરથી લખવી જોઈએ કે આ સ્ક્રીપ્ટ જે હું લખવા જઇ રહ્યો છું એ મારી માતા ઉપરોક્ત પણ ઘણા લોકો વાંચશે કારણ કે ઘણી વાર writer એવી રીતે લખતા હોય છે કે એમને એમ કે એમની મમ્મી જ વાંચશે પરંતુ એમ નથી, એક સ્ક્રીપ્ટ એ રીતે સક્ષમ હોવી જોઈએ કે એની સાથે બધાં લોકો connect કરી શકે.”

સ્ક્રીપ્ટનું બંધારણ કેવું હોવું જોઈએ?

આ અનુસંધાને આગળ તેઓ અમુક ખૂબ જ નોંધનીય વાત કહે છે કે writer જેટલી જલ્દી એક સ્ક્રીપ્ટ અથવા સીન લખ્યાં પછી તેના પ્રત્યેના લગાવ ને દૂર કરે તેટલા વધુ સારા વિચારોને તે ઉપજાવી શકે છે કારણ કે એ ત્યારબાદ એક પ્રેક્ષકની નજરે પોતાના કામ ને, સ્ક્રીપ્ટ ને જોવા સક્ષમ બને છે,એક સ્ક્રીપ્ટ એ લોકો સાથે કેટલી connect કરશે એ સ્ક્રીપ્ટ writerના વિચારમાં કઈ રીતે આવે છે તેના ઉપર ઘણો આધાર રાખે છે, જેમકે એ સ્ક્રીપ્ટ જો લાગણીથી જોડાયેલી હોય અથવા અનુભવ માંથી સર્જાયેલી હોય તો તે દર્શકના માનસપટ ઉપર છપાય જાય છે અને એટલે જ તેઓ કહે છે કે,” લેખક માટે અલગ અલગ અનુભવ થવા, અનુભવ કરવા અને જિંદગીના એક ચાણક્ષ, એક સમજદાર વિદ્યાર્થી હોવું ખૂબજ જરૂરી બને છે.” હાલના સમયમાં ઘણા લેખકો સંતની જેમ રહેતાં અને દુનિયાથી કંટાડેલા હોય છે અને તેમના લેખનમાં બોધપાઠ ઉપર વધુભાર હોય છે જેમના માટે સૌમ્ય જોશીનું એમ માનવું છે કે માત્ર બોધપાઠ અને શીખ આપતાજ લેખનો ના લખવા જોઈએ પરંતુ એક લેખકે પોતાના વિચારો અને અનુભવો ની બધી જ બાજુઓને ધ્યાનમાં લેવી જોઈએ.

એક લેખકને કેવા અને કઈ રીતે અનુભવો લેવા જોઈએ તેમાં આગળ વાત કરતા જણાવે છે કે કોઈ પણ લેખક કે લેખિકા એ નવા નવા અનુભવો સતત લેતા હોવા જોઈએ, કોઈ રચના માટે particular અનુભવ લેવો અથવા એક જ વાતાવરણમાં અને લોકોની વચ્ચે સીમિત રહ્યા કરતા જેટલા પણ નવા અનુભવ મળે એ પ્રયાસ રહેવો જોઈએ. તેઓ ખુદ પણ ટ્રેનમાં મુસાફરી કરવી, નવા ચહેરાઓને મળવું, તેમની સાથે વાત કરવી, તેમનું અવલોકન કરવું તેમ સતત કરતા રહે છે.

સૌમ્ય જોશીની રચનાઓમાં જોવા મળતું જુદાપણું

સૌમ્ય જોશીની રચનાઓમાં હંમેશા સમાજના દરેક વર્ગના મુદ્દાઓ ખૂબજ તાદ્રશ્ય રીતે પ્રસ્તુત કરેલા હોય છે કે જે તે સમગ્ર પેઢીને આલેખે છે ખાસ કરીને સમાજના એ વર્ગો જેમાં ગરીબાઈએ ક્યાંક ઘર બનાવ્યું છે તેના ઉપર પ્રકાશ નાખવાનું કામ તેમની રચનાઓ અલગ અલગ રીતે કરે છે. સાથે સાથે આ પોડકાસ્ટ દરમિયાન આની સાથે જ સંકળાયેલું તેમનુંજ એક ખૂબ જ સુંદર અને ગહન મુક્તક સંભળાવે છે કે,

“ઉજ્વળ વગેરે હોય એ ભાવિ નહીં મળે,
મોકાની પરી એ સ્થળે આવી નહીં મળે,
ફૂટપાથ પર કિચેન લઇ ઉભો છે છોકરો,
લાગે છે કોઈ દિ’ એને ચાવી નહીં મળે.”

એક કલાકાર તરીકે સફળ થવાનો કોઈ ચોક્કસ formula હોતો નથી. સમય સાથે બદલાવ લાવવો એ કલાકાર માટે તેની કેળવણીનો જ એક ભાગ છે. તેમનું નાટક “પાડાની પોળ” એનું એક ખુબ સુંદર ઉદાહરણ છે કે તેમના બાકીના રચિત નાટકો જેમ કે “વેલકમ જિંદગી” કે પછી “૧૦૨ નોટઆઉટ” એ મોટાં મોટાં હોલ્સમાં ભજવાયા છે કે જેના housefull shows પણ જાતા હતા જયારે “પાડાની પોળ” એક એવું નાટક કે છે કે જેમાં તેમણે એક લીમીટેડ audience સાથે જ ભજવવું એમ નક્કી કર્યું.

ગુજરાતી નાટકો વિષે

તેઓ નાટક અને સિનેમાના માટે વાત કરતા જણાવે છે કે એવું કોઈ પણ કન્ટેન્ટ નથી કે જેને audience ના સ્વીકારે, audience ઘણું સમજદાર હોય છે અને દરેક પ્રકાર ના કન્ટેન્ટ માટે એક નિશ્ચિત audience હોય જ જો એ કન્ટેન્ટ પાછળ ના વિચારમાં અને એ કન્ટેન્ટ માં મહેનત અને દમ હોય તો. તેમનું માનવું છે કે OTT ઘણું સારું platform છે પરંતુ સિનેમાગૃહ કે હોલ માં જઈને ફિલ્મો અને નાટકોને ને બધા સાથે નિહાળવું જોઈએ. કદાચ હમણાં એ રીતે ફિલ્મો અને નાટકો જોવાનો ક્રેઝ સહેજ ઘટ્યો છે પરંતુ એ સમય ચોક્કસપણે જલ્દીજ પાછો આવશે.

ગુજરાતી નાટકોનું audience

ગુજરાતી નાટક માટેની audience વિશે વાત કરતા તેઓ ખૂબ જ સુંદર વાત કરે છે જેમાં નાટકના થોડા ઇતિહાસ ની પણ વાત આવે છે કે,”પહેલા ભારતમાં નાટક ત્રણજ રાજ્યોમાં ખૂબ પ્રચલિત હતું એ છે ગુજરાત, મહારાષ્ટ્રને બંગાળ. બાકીના જે રાજ્યો છે ત્યાં નાટક એ એકેડમીક જેવું હતું ને હજી પણ એમ છે. પરંતુ આ ત્રણ રાજ્યોમાં નાટકો સામાન્ય લોકો વચ્ચે ખૂબજ લોકપ્રિય છે પરંતુ નાટક એક એવું ક્ષેત્ર છે કે જે અનેક પરિબળો પર આધારિત છે પછી એ કલાકરો હોય કે પછી audience કે પછી ટીમ કે પછી સમય ઉપર ને એમ અનેક પરિબળો ઉપર. ને એમાં જ બંગાળમાં નાટક ની લોકપ્રિયતા ઘટી ગઈ કારણકે તે નાટકના આવતા ખર્ચને વેઠી ના શક્યો અને મોંઘુ બનતું ગયું. પરંતુ ગુજરાતની audience માટે એવું ના થયું કારણકે એમને એ લોકપ્રિયતા સમય સાથે જાળવી રાખી અને ગુજરાતની audience ધનવાન છે જેથી પૈસાકીય ભારણે નાટકની લોકપ્રિયતાને ના દબાવી શક્યું. હાલના સમયમાં પણ નાટકો ખૂબ જ જોવાય છે. હાલમાં ગુજરાતી સિનેમા અને નાટક industryને જેની જરૂર છે એ છે સારા કલાકારો અને productionની. હાલ માં પણ ઘણાં સારા કલાકારો છે જ પરંતુ એની જરૂર ચોક્કસપણે હાજર છે. ને બીજી એક ખૂબ જ સરસ વાત એ છે કે ગુજરાતમાં કોઈપણ કલાકારને કે પછી ફિલ્મ અથવા નાટકને કોઈ crtics કે વિવેચક પ્રસિદ્ધ નથી બનાવતા પરંતુ audience ખુદ જોવે છે અને તેને પ્રતિસાદ આપે છે.”

ગુજરાતી યુથનો ગુજરાતી નાટકો વિશેનો અભિગમ

આ modern સમયમાં યુથ નાટકો ને નથી જોતું કે પછી OTT તરફ ખેંચાઈ ગયું છે જેવી વાતને તેઓ નકારતા કહે છે કે,”નાટક માં, એના કન્ટેન્ટમાં, સ્ક્રીપ્ટમાં, કલાકારમાં એ દમ હોવું જોઈએ તો આજે પણ શો હાઉસફુલ જાય છે.” જે વાત એમના રચિત અનેક નાટકોમાં દેખાય છે કે જેથી તેમના અનેક નાટકોના ઘણાબધા શો હાઉસફુલ જાય છે અને તેમાં audienceમાં ઘણોખરો ભાગ યુથનો હોય છે.

સૌમ્ય જોશીના મતે યુથને સૌથી વધુ attract કરતા પરિબળો હોય તો એ authencity અને intensity છે. કન્ટેન્ટ જેટલું વધુ authentic હશે અને તે જે મેસેજ કહેવા માંગે છે તે જેટલી સરળતાથી અને તીવ્રતાથી લોકો સુધી પોહ્ન્ચશે તો તે હંમેશા સારું જ પરિણામ આપશે.

સૌમ્ય જોશી ગુજરાતી ફિલ્મો માટે જણાવે છે કે,”હાલ ના સમયમાં ગુજરાતી ફિલ્મો ખૂબ જ સારા સમયમાં છે પરંતુ હજી પણ આપણે audience ને ભેગી કરવાં જે મહેનત કરવી પડે છે તે કદાચ ત્યારે બંધ થશે જયારે લેખકોને હજી મહત્વ આપવામાં આવશે. તેમને આપવામાં આવતા ફીસથી લઇ ને તેમને આપવામાં આવતું મહત્વ એ તેમના સન્માનને જાળવી રાખે અને તેમના કામના પ્રમાણે વધે તે ખૂબ જરૂરી છે. તેનું કારણ એ છે કે ફિલ્મ કે પછી નાટક માટે પણ તેની વાર્તા કે સ્ક્રીપ્ટ એ પાયો છે.”

તેમની રચનાઓમાં જોવા મળતું જુદાપણું

તેમની રચનાઓમાં પછી તે કવિતાઓ હોય કે પછી એમનું લિખિત નાટક તે બધામાં સમાજની વાસ્તવિકતા અને મુદ્દાઓ ખૂબ જ મજબૂત રીતે પ્રદર્શિત થાય છે અને સમાજના એ લોકો અને એ વર્ગ કે જેમની સામાન્ય રીતે અવગણના થતી હોય છે તેમને સંબોધે છે. એમના રચિત નાટકોની અને કવિતાઓની ઘણી ઊંડી અસર થાય છે અને તેમની આ મુદ્દાઓને ચિત્રણ કરવાની શૈલી બહુ સીધી પરંતુ કડક હોય છે. તેમના પહેલાના લિખિત નાટકોમાં અમુક શબ્દો કે જે ગાળમાં આવતા હોય તેમનું પણ પ્રયોગ થતું જે હાલ ના સમયમાં તેમના રચિત નાટકોમાં એ પ્રમાણમાં નથી થતું તેનું કારણ જણાવતા તેઓ કહે છે કે,”એ સમયે ગાળનો વપરાશ નાટકમાં કે કવિતામાં કરવો એ એક રીતે વિવાદિત ઘટનાને જન્મ આપવા જેવું હતું પરંતુ મારે મારી વાતને લોકો સમક્ષ સીધી, મૂળ સ્વરૂપમાં, અને પ્રમાણિકતાથી પોહ્ન્ચાડવી હતી. આજે પણ અમુક સમયે એવા શબ્દ પ્રયોજન કરું છું પરંતુ એ શબ્દોથી ચર્ચામાં આવું એ ક્યારેય ઉદેશ્ય નહોતો, લોકો સુધી વાત મૂળ સ્વરૂપે જાય એ જ મુખ્ય હેતુ છે. ને આજે એવા શબ્દપ્ર્યોજનો ઘણા સામાન્ય પણ થઇ ગયા છે એટલે પહેલા એની એક ધાર હતી જે આજે નથી મળતી.”

ગ્રીનરૂમની એક કવિતા

અંતે તેઓ તેમનું એક કાવ્ય,”જીવલા નું જીવન”નું પઠન કરે છે.
“પેટ હતું તે ઝ્બે થઇ ગયું, રાત હતી તે પડી,
ઊંઘ હતી તે આવી ગઈ, ને ફૂટપાથોને જડી.

કે હાથ હતાં તે ભાર ઊંચક્યો, શ્વાસ હતાં તે હાંફ્યા,
બીજે તો ક્યાં જઈ ને કાઢે, દાઝ હતી તે દાઝ્યા.

લગન હતાં તે થયા લગન, હતાં પોરિયા આયા,
પેટ હતું તે મળ્યું એમને, હાથ હતાં તે લાવ્યા.

હોઠ હતાં તે ગાળ હતી, ને કાન હતા તે લીધી,
હતો રૂપિયો મળી યેવલા, આગ હતી તે લીધી.

લોહી હતું તે ગયું સુકાઈ, હતાં હાડકાં થાક્યા,
ભીડ હતી તે ભેગી થઇ ગઈ, હતાં ખભ્ભા તે આપ્યા.”

જીવલો એક મજૂર છે અને એની ખુદની પણ એક જીવન જીવવાની ફિલસૂફી છે જેને આ કવિતામાં ખૂબજ સુંદર રીતે દર્શાવી છે. આ સંપૂર્ણ પોડકાસ્ટને જયારે તમે સાંભળશો ત્યારે તમને સારા લેખન માટે શું કરવું તે શીખવા મળશે. નાટકો અને ફિલ્મોના વિવિધ પાસાઓને જાણવાનો મોકો મળશે. સાંભળો આ સંપૂર્ણ પોડકાસ્ટને Jalso YouTube Channel પર.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz