નિરેન ભટ્ટની સર્જનયાત્રા
“Jalso Podcast” ના એક ખાસ એપિસોડ જ્યાં વાત છે વિચારની, સર્જનની અને લેખનની. આ સંવાદમાં મહેમાન તરીકે ખૂબ લોકપ્રિય પટકથા લેખક અને ગીતકાર નિરેન ભટ્ટ જોડે ખૂબ રસપ્રદ વાતો થઈ જેનાં અમુક અંશો અહિયાં આપ વાંચી શકો છો. નિરેન ભટ્ટ એટલે એક એવાં લેખક, જેમણે ગુજરાતી મંચથી લઈને બોલીવૂડ સુધીના સફરને એક રચનાત્મક દૃષ્ટિથી આત્મસાત કર્યું છે, પોતાની એક આગવી ઓળખ અને ચાપ ઉભી કરી છે. જાણો એમની સર્જનયાત્રા વિષે અહિયાં.
હાલનાં સમયમાં સૌથી કુશળ અને અદ્ભુત લેખકોમાંથી એક નામ છે નિરેન ભટ્ટ. ગુજરાતી પૃષ્ઠભૂમિથી ઊગેલો અને બોલીવુડના મજબૂત ઉંચાઈ સુધી પહોંચેલો આ સર્જક માત્ર સ્ક્રિપ્ટ લખતો નથી પણ વિચારોનીજીવંત ભાષા ઘડે છે. Jalso Podcast પર તેમની સાથે થયેલી વાતચીત માત્ર એક ઈન્ટરવ્યૂ નહીં પણ લેખનપ્રેમીઓ માટે લેખન ખીલવવાની કળા સીખ લાગે છે. જેમ નિરેન ભટ્ટ કહે છે, “લેખન એ વિચારવાની પ્રક્રિયા છે.” અને આ વિચારશીલતા તેમના દરેક કામમાં દેખાય છે પછી એ “સ્ત્રી”, “બે યાર”, “મુંજ્યા” હોય કે “અસુર” જેવી વેબ સીરિઝ.
નિરેન ભટ્ટની લેખનયાત્રાની શરૂઆત
નિરેન ભટ્ટની લેખન યાત્રાની શરૂઆત ગુજરાતી નાટકોની લેખનશૈલી સાથે થઈ હતી. આ લેખન કુશળતા સાથે તેમનો વ્યાવસાયિક કારકિર્દી સાથેનું સંઘર્ષ પણ ચાલતો રહ્યો. તેમણે વ્યવસાયિક જીવનની સુરક્ષિતતા છોડી, એક અનિશ્ચિત પણ આત્માને સંતોષ આપતી સર્જનશીલ કારકિર્દી તરફ પ્રયાણ કર્યું. આ નિર્ણય સહેલો નહોતો પણ આજે જ્યારે તેઓ બોલીવુડના ટોચના લેખકોમાં ગણાય છે ત્યારે લાગેછે કે, જીવનમાં દરેક પડકાર સારો સાબિત થાય છે જો હિંમત અને ધીરજ રાખી લડી શકાય.
લખવાની પ્રોસેસ
પોડકાસ્ટમાં નિરેન ભટ્ટ દિલ ખોલીને વાત કરતાં કહે છે કે, ‘writer’s block’ જેવી કોઈ વાસ્તવિક વસ્તુ નથી. લેખન એ સતત પ્રયત્ન અને વિચારનું પરિણામ છે. તેઓ પહેલા જે “vomit draft” લખે છે તે માત્ર એક પ્રારંભિક નકશો હોય છે ખામીસહીત, અપૂર્ણ પણ ખરો. પછી તે લખાણને 15 કે 16 વાર ફેરવી, વાંચીને, ટૂંકમાં કહેવાય તો જાતે પોતાને rewrite કરે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે લેખન એ માત્ર કલ્પનાની રમત નહીં પણ શ્રમ, સમય અને ધીરજની પ્રક્રિયા છે.
નિરેન ભટ્ટની લખવાની મેથડ
એમના દ્રષ્ટિકોણમાં સૌથી રસપ્રદ પાસું એ છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ અને લોકવાર્તાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનું માધ્યમ બનાવે છે. તેમના મતે, “જેટલું કોઈ વસ્તુ સ્થાનિક હોય, એટલું તે વૈશ્વિક બની શકે.” આ વિચારો “સ્ત્રી”, “ભેડિયા”, અને “મુંજ્યા” જેવી ફિલ્મોમાં દેખાય છે જ્યાં હોરર-કૉમેડી જેવી શૈલીમાં પણ તેમણે મોટા સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ રજૂ કર્યા છે. “સ્ત્રી” માં મહિલા સુરક્ષા વિશે, “ભેડિયા” માં પર્યાવરણ જાગૃતિ વિશે અને “મુંજ્યા” માં લોકવાર્તા, લોકવાયકાની ભૂમિકા વિશે વાત કરવામાં આવી છે પણ બધું જ મનોરંજનના ફ્રેમમાં ગોઠવાઈને દર્શકનાં દિલ સુધી પહોંચે છે.
વધુમાં નિરેન ભટ્ટ જણાવે છે કે, ગુજરાતીમાં સુંદર વાર્તાઓ લખાય છે, શ્રેષ્ઠ લેખકો છે, સંસ્કૃતિ છે પણ ગોઠવણી અને બજાર પદ્ધતિની ઘણીવાર કમી અનુભવાય છે. બોલીવુડમાં જેમ પુરસ્કાર અને વ્યાવસાયિક માન્યતા મળે છે તેમ અહીં મળતી નથી. તેમ છતાં તેમને ગુજરાતી ભાષા અને ફિલ્મ માટે ખૂબ પ્રેમ છે અને તેઓ હંમેશા આ ક્ષેત્ર માટે કંઈક કરવા ઇચ્છે છે.
નિરેન ભટ્ટની યંગ લેખકોને આપી સલાહ
નિરેન ભટ્ટ માત્ર ફિલ્મો અને વેબ સીરિઝનાં લેખક નથી તેઓ સંવાદ લેખન પણ ઉમદા કરે છે. એમની વાતચીત, તેમનો વિચારશીલ અભિગમ, અને તેમણે રજૂ કરેલા અનુભવો, દરેક તેજસ્વી લેખક કે નવોદિત લેખક માટે માર્ગદર્શન સમાન છે. તેમણે કહેલું “જેણે કથાનું હ્રદય સમજી લીધું હોય, તે કોઈપણ માધ્યમમાં વાર્તા કહી શકે છે” એ માત્ર વાત નથી એ એમનાં જીવનનો મર્મ છે.
અંતે Aspiring Writers માટે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવે છે જેમ કે, કદી પણ પહેલો ડ્રાફ્ટ સંપૂર્ણ હોવાની આશા ન રાખવી, સતત લખતાંનું શીખવું, પોતાનું લખાણ યોગ્ય લોકો સાથે વહેંચવાનું અને જૂથ પ્રતિસાદ મેળવવાનું. તેમના મતે, લેખક બનવા માટે સૌથી પહેલાં અંદરથી મનથી લખવાની ઝંખના હોવી જોઈએ પૈસા કે પ્રસિદ્ધિ એ પછીની બાબતો છે.
લેખકનું જીવન અને સંવાદના અંતે
આ પોડકાસ્ટ માત્ર નિરેન ભટ્ટ વિશે જ નહીં, પણ દરેક સર્જક માટે એક પ્રતિબિંબ છે. કેવી રીતે એક ગુજરાતી યુવાને પોતાના વિચારો અને વિચારશક્તિ દ્વારા રાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન બનાવ્યું, અને હજુ પણ મજબૂતીથી કાર્યરત છે લેખન યાત્રા ચાલી રહી છે એ જોઈને સ્પષ્ટ થાય છે કે લેખન એ માત્ર કલ્પના નહીં, પણ એક જીવંત અભ્યાસ છે.
જે લોકો લેખન ક્ષેત્રે પોતાની યાત્રા શરૂ કરવા ઈચ્છે છે, એમને માટે નિરેન ભટ્ટનો આ અભિગમ ખૂબ જ ઉપયોગી નીવડે એવો છે. તેમણે બતાવ્યું કે લોકસંસ્કૃતિ, સહાનુભૂતિ, અધ્યયન અને નિષ્ઠા સાથે લખાણ કેવું મજબૂત બની શકે છે.
એમના માટે લેખન માત્ર કરિયર નથી – એ જીવનશૈલી છે. અને જ્યારે તમે તમારી જીવનશૈલીને તમારા મિશન સાથે જોડો, ત્યારે તમે માત્ર લેખક નહીં, પણ વિચારશીલ સર્જક બની શકો.
નિરેન ભટ્ટની આ યાત્રા દરેક સર્જક માટે એક દિશાસૂચક દીવો સમાન છે. આ સંપૂર્ણ એપિસોડ સાંભળો “Jalso Podcast” You tube ચેનલ પર. આ બ્લોગ અને આ સંપૂર્ણ સંવાદ તમને ગમ્યો હોય તો મિત્રો અને પરિવારને જરૂર મોકલશો. નવા વિચારો અને નવી અભિવ્યક્તિ સાથે ફરી મળીયે નવાં સંવાદમાં ત્યાં સુધી જોડાયેલાં રહો Jalso Podcast સાથે.