ગુજરાતી સાહિત્યજગતનું એક મોખરાનું નામ એટલે કવિ વિનોદ જોશી. એમની રચનાઓની મોહિનીનો ગુજરાતી કાવ્યભાવકો પર વ્યાપક પ્રભાવ છે. એમનાં ગીતકાવ્યો તો અગાયકને પણ ગાતાં કરી મૂકે તેવાં સહજ. તેના ભાવહિલ્લોળમાં સહૃદયો એવાં તો તણાઇ જાય છે કે ભાષા અને તેના અર્થો એમને માટે સાવ ગૌણ બની જાય છે.
પરંતુ’ કાવ્યસંગ્રહથી આરંભાયેલી એમની કાવ્યયાત્રા વૃતબદ્ધ દીર્ઘકાવ્ય `શિખંડી’, મધ્યકાલીન ગુજરાતી કાવ્યસ્વરૂપમાં લખાયેલી પદ્યવાર્તા ‘તુણ્ડિલ-તુણ્ડિકા’, બહુપ્રશસ્ત કાવ્યસંગ્રહો `ઝાલર વાગે જૂઠડી’, અને `ખુલ્લી પાંખે પિંજરમાં’ તેમજ રાષ્ટ્રીય સ્તરે પોંખાયેલાં અને વિવિધ ભારતીય ભાષાઓમાં અનૂદિત થયેલાં સાત સર્ગનાં પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ સુધી વિસ્તરી છે.
ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ અને ગુજરાતી કવિતાના સર્વોચ્ય ગણાતા નરસિંહ મહેતા એવોર્ડ જેવા અસંખ્ય નોંધપાત્ર પારિતોષિકોથી વિભૂષિત આ કવિનો સાહિત્યની ભાષા અંગેનો દૃષ્ટિકોણ આપણને વિચારતાં કરી મૂકે તેવો છે. લોકભાષા અને સંસ્કૃતપ્રચુર ભાષાનો સમન્વય ધરાવતી વિનોદ જોશીની રચનાઓ ઘણી વિલક્ષણ છે. ગુજરાતી કવિતાસાહિત્યમાં એક પ્રશિષ્ટ કવિ તરીકે વિનોદ જોશીનું બહુ ઊંચું સ્થાન છે. જલસો સાથેના આ સંવાદમાં તેમણે તેમના સાહિત્ય સર્જનો વિશે, સમગ્ર સાહિત્ય સફર વિશે વાત કરી છે. ગુજરાતી ભાષા વિશે તેઓ ખૂબ અલગ મત ધરાવે છે અને જયારે તેમનો ભાષા માટેનો દ્રષ્ટિકોણ સાંભળીએ તો આપણને પણ ક્યાંક વિચારતા કરી મૂકે છે. એમની સાથેનો આ સંવાદ અત્યંત રસપ્રદ છે. અંત સુધી સાંભળવો ગમે તેવો.