ગુજરાતી રંગભૂમિના ઈતિહાસથી લઈને આવનારા સમય સુધી!
રંગભૂમિ એટલે દરેક કલાઓનું સંગમ. નાટ્યશાસ્ત્ર એ ઘણું પ્રાચીન છે, વેદોમાં પણ તેના વિશે ઉલ્લેખ થયેલો છે. ગુજરાતી રંગભૂમિ પણ ખૂબ જ પ્રાચીન છે. ગુજરાતી રંગભૂમિની શરૂઆત ભવાઈથી થયેલી, અસાઈત દ્વારા શરુ થયેલ આ ભવાઈ આજે પણ ગામડાંઓમાં ખૂબ પ્રચલિત છે, શહેરોમાં પણ સોસાયટીઓમાં ને એમ તેમજ જાહેર કાર્યક્રમોમાં ભવાઈની પ્રસ્તુતિઓ થાય છે. તે બાદ આવી જૂની રંગભૂમિ અને તે જ ક્રમમાં તેના પછી શરુ થઇ નવી રંગભૂમિ. ગુજરાતી રંગભૂમિના પિતામહ કહેવાતા જશવંત ઠાકરનું ગુજરાતી નાટકોમાં અનન્ય પ્રદાન છે. તેમણે તેમનું સમગ્ર જીવન રંગભૂમિને, કલાને સમર્પિત કરી દીધું હતું. અને તેમના દીકરી એટલે અદિતિ દેસાઈ જે વર્તમાન ગુજરાતી રંગભૂમિના સૌથી શ્રેષ્ઠ દિગ્દર્શકમાં સ્થાન પામે છે, સૌથી ઉત્તમ નાટ્યકારોની શ્રેણીમાં તેમનો સમાવેશ થાય છે.
જલસો પોડકાસ્ટમાં તેમની સાથે ગુજરાતી રંગભૂમિ માટે થયો એક ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર સંવાદ. અહીં અદિતિ દેસાઈએ ગુજરાતી રંગભૂમિ વિશે, તેના ઈતિહાસ-વર્તમાન-ભવિષ્ય વિશે ખૂબ જ ખુલીને વાત કરી છે. તેમના જબરદસ્ત નાટકો વિશે, અભિનય વિશે તેમજ આજે રંગભૂમિની કેમ જરૂરિયાત છે, કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે બધા વિશે તેમણે ખૂબ જ રસપ્રદ માહિતી આપી છે જે તમારે ચોક્કસપણે સાંભળવી જ જોઈએ.
જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિ વચ્ચેનો તફાવત
આ સંવાદની શરૂઆત થાય છે જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિ વચ્ચે શું તફાવત છે તેનાથી. આ વિશે અદિતિ દેસાઈ સમજાવતા કહે છે કે, ‘જૂની રંગભૂમિની શરૂઆત પારસી રંગભૂમિથી થઇ હતી. આઝાદીના પહેલા પારસીઓએ અંગ્રેજોની નાટ્યપદ્ધતિને અપનાવી હતી, અંગ્રેજી નાટકોને જ તેમણે ગુજરાતી-પારસી ભાષામાં અનુવાદ કર્યા હતા. પરંતુ તેમાં આપણું શું? આપણી વાતો, આપણા પ્રશ્નોનું શું? અને ત્યારે જૂની રંગભૂમિની શરૂઆત થઇ.’ આઝાદી મળ્યા પછી જૂની રંગભૂમિ વધુ અસરકારક બની.
જૂની રંગભૂમિના નાટકોમાં સામાજિક પ્રશ્નો, વેદના, સ્ત્રીઓનું દુઃખ વગેરે મુખ્ય મુદ્દાઓ હતા. આ નાટકો બે-બે, ત્રણ-ત્રણ કલાક લાંબા ચાલતા અને આ નાટકો બે સ્તરે ભજવતા. એક પડદાની આગળ જ્યાં હાસ્યસ્વરૂપ એક્ટ ચાલતો અને એક પડદાની પાછળ જ્યાં મુખ્ય નાટક ભજવાતું. આ સમયે સ્ત્રીઓ નાટકમાં ભાગ ન લેતી અથવા લઇ શક્તિ. પુરુષો જ સ્ત્રીઓનો વેશ ધારણ કરતા અને પાત્ર ભજવતા તેમાં સૌથી મોટું નામ આપણે સૌએ સાંભળ્યું હોય તો તે છે જયશંકર સુંદરી. તેમના માટે તો એવું કહેવાતું કે સ્ત્રીઓ કરતા પણ વધુ સુંદર રીતે તેઓ એ પાત્રો ભજવી લેતા અને મહિલાઓ તેમની પાસે શીખવા જતી કે કઈ રીતે વર્તવું, ચાલવું, બોલવું વગેરે.
આઝાદી મળ્યા પછી રંગભૂમિએ સમાજને જાગૃત કરવા માટે, એકત્રિત થવા-એકતા વધારવા અમૂલ્ય યોગદાન આપ્યું. પણ શું તે સમયે દરેક ભારતીયોના જીવનમાં માત્ર દુઃખ જ હતા? માત્ર બિચારાપણું જ હતું? ના! અને ત્યારે નવી રંગભૂમિનો વિચાર ઉદ્ભવ્યો. નવી રંગભૂમિ એ નવા વિચારોને, નવા પ્રશ્નોને, નવી જીવનશૈલીને પ્રસ્તુત કરવાના વિચાર સાથે શરુ થઇ. અને આ શરૂઆત કરનારા વ્યક્તિઓમાં હતા ગુરુવર્ય જશવંત ઠાકર. જશવંત ઠાકર અને ચંદ્રવદન મહેતા (ચં ચી મહેતા), તેમણે નવા નવા વિષયો સાથે અનેક નાટકો લખ્યા, પ્રસ્તુત કર્યા. જશવંત ઠાકરે તો શેક્સપીયર અને બીજા અનેક મહાન નાટ્યકારોના નાટકોને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યા, તેના ઉપરથી પ્રેરિત થઈને તેમણે ગુજરાતી નાટકો લખ્યા પણ ખરા. સાથે સાથે તેમણે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં સ્પેશ્યલ થીએટર ડીપાર્ટમેન્ટ શરુ કર્યો જે ગુજરાતમાં સૌથી પહેલું હતું.
ગુજરાતી રંગભૂમિના પિતામહ સમાન – જશવંત ઠાકર
આ સંવાદ જેમ આગળ વધે છે ત્યારે અદિતિ દેસાઈ તેમના પિતા જશવંત ઠાકર સાથે જોડાયેલા અનેક રસપ્રદ કિસ્સાઓ કહે છે અને સાથે સાથે તેમના નાટકોનું વર્ણન પણ કરે છે. તેઓ સાથે સાથે જણાવે છે કે,’અમારા ઘરે હંમેશા સમાનતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. મારી માતા ડોક્ટર હતા અને પિતા એક નાટ્યકાર પરંતુ ઘરના કામ બંને ખૂબ જ સમાનતાથી વહેંચીને કરતા. તે બંને વચ્ચેનો પ્રેમ પણ કંઇક અલગ જ હતો, એકબીજા માટે સમ્માન, પ્રેમ તેમજ એકબીજાનું ધ્યાન પણ ખૂબ જ રાખતા.’ અને આ જ વાત જશવંત ઠાકર દ્વારા રચિત નાટકોમાં તેમજ આગળ જતા અદિતિ દેસાઈના નાટકોમાં પણ જોવા મળે છે.
અદિતિ દેસાઈના અદ્ભુત નાટકો
આમ તો જશવંત ઠાકર વિશે તેમજ ગુજરાતી રંગભૂમિના ઈતિહાસ વિશે અનેક વાતો થઇ છે આ રસપ્રદ સંવાદમાં એટલે આ સંવાદ તો જોવાનું ચૂકતા જ નહીં. પણ અહીં આપણે હવે વાત કરીએ અદિતિ દેસાઈના સુપરહીટ નાટકો પાછળના અમુક કિસ્સા-કહાનીઓને. અદિતિ દેસાઈના દિગ્દર્શિત નાટકો જેમકે ‘અકૂપાર’, ‘કસ્તુરબા’, ‘સમુદ્રમંથન’, ‘ધાડ’, ‘અગ્નિકન્યા’ અને ‘સૈરન્ધ્રી’ વગેરેથી આપણે સૌ પરિચિત છીએ. ગુજરાતી રંગભૂમિના સૌથી શ્રેષ્ઠ નાટકોમાં તે સ્થાન પામે છે. અહીં આ સંવાદમાં તેઓ તેમના આ નાટકો વિશે પણ અમુક રસપ્રદ વાતો કરે છે.
‘અકૂપાર’ નાટક કે જે ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક ધ્રુવ ભટ્ટની નવલકથા છે તેના ઉપરથી બન્યું છે, આ નાટક ખૂબ જ લોકપ્રિય છે. 2015માં સૌપ્રથમ વાર આ નાટક પ્રસ્તુત થયું હતું અને આજે 2025માં પણ તે નાટકના Shows થાય છે અને આજે પણ તે તેટલું જ પ્રખ્યાત છે કે તેના દરેક Show હાઉસફુલ પણ જાય છે. ‘અકૂપાર’ નાટક વખતે કોઇપણ કલાકારને ગામડામાં રહેવાનો કે ગ્રામ્યસંસ્કૃતિ સાથે ખાસ કોઈ અનુભવ નહોતા, જયારે આ નાટક તો ગીર સાથે જોડાયેલું, ગીર ઉપર જ લખાયેલું છે. તો આ માટે અદિતિ બેન સમગ્ર ટીમને અલગ અલગ ભાગમાં વહેંચી ગીરમાં રોકાવા લઇ જાય છે જેથી તેઓ વધુ કનેક્ટ થઇ શકે. આ જ રીતે તેમના બીજા નાટકો માટે પણ તેમણે અલગ અલગ પ્રયોગો કર્યા છે.
અદિતિ દેસાઈના નાટકોનો જાદુ
તેમના નાટકોની એક બહુ જ ખાસ વાત એ છે કે તેમની આખી ટીમ અરાઉન્ડ 30-50 લોકોની હોય છે. આજે જયારે નાટકો ભજવવા અને તેમજ તેના Shows ઓર્ગેનાઈઝ કરવા ખૂબ જ અઘરા છે તેમજ માત્ર 1 કે 2-3 લોકો સાથેના સમગ્ર નાટકો ભજવાય છે, ત્યારે આટલી મોટી ટીમ સાથે નાટકો કરવા એ પણ કાબિલેદાદ છે. અદિતિ બેનને નાટકોનું ગણિત પણ ખૂબ જ અદ્ભુત રીતે સમજાઈ ગયું છે.
તેમના દરેક Shows હાઉસફુલ જ હોય એ તો ગજબ લાગે ને!? તેઓ આ વિશે જણાવે છે કે,”લોકોને આજે પણ નાટકોમાં રસ છે જ, જો તમે સારી રીતે-સારા વિષય સાથે નાટક પ્રસ્તુત કરશે તો લોકો આજે પણ નાટકોને તેટલા જ ઉત્સાહથી જોવા આવે છે.” અદિતિ દેસાઈના પ્રસ્તુત નાટકોને જોનાર લોકોમાં યુવાનોની સંખ્યા ખૂબ વધુ હોય છે. જે તેમની કહેલી આ વાતને પણ સત્ય સાબિત કરે છે. તેઓ દ્રઢપણે માને છે કે નાટક હંમેશા જીવતું જ રહેશે, આ કલા ક્યારેય મૃત નહીં બને પરંતુ નવા નવા સ્વરૂપે પ્રસ્તુત થતી રહેશે.
સંવાદના અંતે
આ સિવાય પણ અદિતિ દેસાઈ રંગમંચ વિશેની અનેક રસપ્રદ વાતો આ સંવાદમાં કહે છે જે તમને ચોક્કસપણે અવાક તો કરશે અને સાથે સાથે નાટકો વિશે, વિવિધ કલાઓ વિશે તમારા જ્ઞાનમાં પણ વધારો કરશે. અદિતિ દેસાઈ અને તેમના દિગ્દર્શિત-અભિનય થયેલા નાટકો તો ખૂબ જ લોકપ્રિય છે જ સાથે સાથે તેમની હિંમત, તેમના નિખાલસ સ્વભાવ માટે પણ ખૂબ પ્રચલિત છે. આ સંવાદમાં એમનો એ નિખાલસ-નીડર સ્વભાવ ઝળકે છે. અદિતિ દેસાઈના વિવિધ અદ્ભુત નાટકો, તેમના પિતા અને ગુજરાતી રંગમંચના પિતામહ જશવંત ઠાકરના જીવન વિશે, તેમના પ્રથમ લગ્ન અને દેવકી (RJ Devki) ના વિશે અને તે પછી તેમના દ્વિતીય લગ્ન અને તેમના પુત્ર વિશે અને અંતે આજે રંગભૂમિની મૂળભૂત સમસ્યા શું છેતે વિશે તેમણે ખૂબ જ રસપ્રદ વાતો કહી છે, કિસ્સાઓ શેર કર્યા છે. જુઓ આ સંપૂર્ણ સંવાદ માત્ર JALSO PODCASTS YouTube Channel પર.