શું તમને સાચી ગુજરાતી ભાષા ફાવે છે?
ભારતની વિવિધ ભાષાઓમાં ગુજરાતી એ અત્યંત મજાની, સરળ અને મધુર ભાષા છે. પરંતુ આજની જ્ઞાનયુક્ત, ઝડપી અને ડિજિટલ દુનિયામાં આપણે આપણી આ માતૃભાષા માટે ખાસ વધુ ધ્યાન નથી રાખતા. આજે બાળક પોતાનાં પહેલા શબ્દો અંગ્રેજીમાં બોલે છે, માતા–પિતા “ગુજરાતી માધ્યમ” કહેતાં શરમ અનુભવે છે અને શિક્ષણપદ્ધતિ પણ માતૃભાષાની જાળવણી કરવાના સ્થાને ક્યાંક ના ક્યાંક તેને બાજુએ ખસેડી રહી છે. એવામાં પ્રશ્ન ઊભો થાય છે કે: આપણી માતૃભાષા એવી ગુજરાતીને સાચવવા માટે આપણા સૌની જવાબદારી શું?
જલસો પોડકાસ્ટના એક અત્યંત રસપ્રદ અને જ્ઞાનસભર એપિસોડમાં, લોકપ્રિય ગુજરાતી સાહિત્યકાર, કવિયત્રી અને ભાષા શિક્ષિકા શ્રી રક્ષા દવે (રક્ષાબા) અને સંવાદક નૈષધ પુરાણી વચ્ચે ભાષાના અનેક પાસાંઓ પર ચર્ચા થાય છે — ખાસ કરીને વ્યાકરણ, જોડણી, ઉચ્ચારણ અને ભાષાના ઉપયોગ પર. આ સંપૂર્ણ સંવાદ એ માત્ર એક ભાષિક સંવાદ નથી, પણ એક જાગૃતિ છે – ભાષા માટે શપથ છે.
ભાષાનું મહત્વ
રક્ષાબેન એમ કહે છે કે “ભાષા એ ફેશન નહીં, ફરજ છે.” એ આપણે શું બોલીએ છીએ, કેવી રીતે બોલીએ છીએ, શું લખીએ છીએ અને કેટલી ઘાટથી લખીએ છીએ – એ બધું ભાષાના ભવિષ્યને ઘડતું હોય છે. દરેક વ્યક્તિ, ભલે તે શિક્ષક હોય કે વિધાર્થી, પત્રકાર હોય કે પિતા – ભાષા માટે જવાબદાર છે. પોતાની ભાષા માટે ગૌરવ રાખવો એ સમાજને જીવીત રાખવાનું પ્રથમ પગથિયું છે. જ્યારે ભાષા ઊંડે ઉતરે છે ત્યારે સંસ્કૃતિ ઊંડે ઊતરે છે. સંસ્કૃતિનું મૂળ ભાષા છે, અને જ્યારે મૂળ ન બચે ત્યારે વૃક્ષ સુકાઈ જાય — આ વાતને રક્ષાબેન ખૂબ જ અસરકારક રીતે સમજાવે છે.
ગુજરાતી ભાષાનું જોર કઈ રીતે ઘટ્યું છે?
અલગ અલગ પ્રવેશ પરીક્ષાઓમાં પણ અંગ્રેજી ભાષાને આજે ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે. માતૃભાષાનું આજે જે જોર ઘટ્યું છે, તેમાં Social Media નો પણ ખૂબ મોટો હાથ છે. ખરેખરમાં ગુજરાતી સાહિત્ય ખૂબ જ ધનાઢ્ય છે. અદ્ભુત કથાઓ-કવિતાઓ-ગઝલો ને બીજું ઘણું બધું આપણા ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ સુંદર રીતે વણાયેલું છે, પરંતુ આજે અંગ્રેજી ભાષાના વધતા જતા પ્રભાવમાં આપણે ના તો ગુજરાતીને સન્માન આપી શકીએ છીએ ના તો અંગ્રેજી ભાષાને. અનુસ્વારની, રસ્વઇ-દીર્ઘઈની થતી ભૂલો અને ઉચ્ચારણમાં થતી ભૂલોને આજે લોકો બિલકુલ ધ્યાન આપતા નથી.
પરંતુ જો આપણે જ આપણી માતૃભાષા પ્રત્યે સભાન નહીં રહીએ તો આવનારી પેઢી સુધી આ સંસ્કૃતિને પહોંચાડવી પણ અઘરી પડશે. આ સંવાદમાં રક્ષાબા આ વાતને ખૂબ જ ગંભીરતાથી સમજાવે છે. તેઓ ખૂબ જ સાચી વાત કહે છે કે,’આજકાલ આપણે જોડણીમાં કે ઉચ્ચારણમાં થતી ભૂલોને ગણકારતા પણ નથી, કેમ? કેમકે એ તો આપણી માતૃભાષા છે, ઘરમાં જ બોલીએ છીએ ને ચાલે પણ ખરેખર આપણે આપણી સંસ્કૃતિ માટે, આપણી ભાષા માટે બેજવાબદાર બનીએ છીએ.’
શિક્ષણમાં ભાષાનું સ્થાન
આપણી શિક્ષણવ્યવસ્થામાં પણ ગુજરાતી ભાષાને ખૂબ જ આડે હાથે મૂકવામાં અવી છે. ગુજરાતી ભાષાની પાઠ્યપુસ્તકોમાં જ જો જોડણીની, વ્યાકરણના નિયમોની ભૂલો હોય તો શીખનાર કઈ રીતિ સાચી ભાષા શીખે? રક્ષાબા આ વાતને હજી વિસ્તારપૂર્વક સમજાવતા કહે છે કે,’હવે તો ગુજરાતી ભાષા ઘણા શહેરોની શાળામાં માત્ર એક ભાષાના વિષય તરીકે જ રહેલી છે અને એક ધોરણ પછી ગુજરાતી એ ફરજિયાત વિષય પણ નથી તો બાળક ક્યારેય ભાષાને ગંભીરતાપૂર્વક શીખતું જ નથી.’ આ સાથે સાથે રક્ષાબા એક ખૂબ જ ધ્યાન દોરે એવી વાત કહે છે કે,’બાળક જયારે ગણિત-વિજ્ઞાનમાં ઓછા માર્ક્સ લાવે તો આપણે તેમને વઢીએ છીએ, જો સારા માર્ક્સ લાવે તો ઇનામ આપીએ છે. પરંતુ જો તે જ બાળક ભાષાના વિષયમાં ક્યાંક સારા માર્ક્સ લાવશે તો આપણે તેમને પ્રોત્સાહન નથી આપતા, અને બસ આ જ બાળકના માનસમાં ભાષા પ્રત્યે સહેજ અણગમો, સહેજ બેદરકારી ઉત્પન્ન કરે છે.’
ગુજરાતી વ્યાકરણના નિયમો
જો ગુજરાતી વ્યાકરણના સરળ નિયમો વિશે વાત કરવામાં આવે તો રક્ષાબા ખૂબ જ સરળ રીતે સમજાવે છે, જેમકે અનુસ્વારના નિયમને સરળતાથી સમજાવતા તેઓ કહે છે કે,’જો પુલ્લિંગ હોય તો તેમાં અનુસ્વારનો પ્રયોગ ન થઇ શકીએ અને જો સ્ત્રીલિંગ હોય તો તેમાં અનુસ્વારનો ઉપયોગ કરવો જરૂરી છે.’ આગળ તેઓ દીર્ઘઈ અને રસ્વઇ તેમજ દીર્ઘઊ અને રસ્વઉના નિયમ સમજાવતા કહે છે કે,’આપણી ગુજરાતી ભાષામાં તો વ્યાકરણને સમજવું ખૂબ સરળ છે, ઉચ્ચારણ જેમ હોય તેમ જ લખવામાં આવે છે જે અન્ય ભાષાઓમાં બહુ જોવા નથી મળતું. જેમકે જયારે ઉપરાંત અને ઊંડા આ બંને શબ્દોમાં ‘ઉ’ ના ઉચ્ચાર અલગ અલગ છે તો તે જ રીતે એકમાં રસ્વઉ અને એકમાં દીર્ઘઊ વપરાય છે.’
અનુસ્વારના નિયમો
વ્યાકરણમાં આ જ રીતે આપણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગના ઉપયોગ વિશે પણ ધ્યાન રાખવું જોઈએ. વાક્ય પ્રમાણે, વાક્યના ભાવ પ્રમાણે લિંગવાચક શબ્દોનો ઉપયોગ થવો જોઈએ. (જેમકે “કેવો,” “કેવી,” “કેવું”). ધ્વનિ પ્રમાણે પણ ગુજરાતી ભાષા ખૂબ જ વિશિષ્ટ છે. દરેક શબ્દનો એક અલગ રણકો છે, એક અલગ અવાજ છે અને તેની પણ એક અલગ મજા છે. જયારે આપણે ‘કડડભૂસ’ શબ્દનું પ્રયોજન કરીએ ત્યારે કુદરતી રીતે તે ઘટના, તે વાત જાતે જ મનમાં ઉપજી આવે છે અને આવા તો અનેક શબ્દો છે આપણી ગુજરાતી ભાષામાં.
ભાષા માટે જાગૃતિ
રક્ષાબા એક ખૂબ સુંદર વાત કહે છે કે,’દરેક બાળક પોતાની માતૃભાષા શીખે, સમજે તેની સૌથી પહેલી ફરજ એ માતા-પિતાની હોય છે. જો તેઓ જ ભાષા પ્રત્યે જાગૃત નહીં હોય તો બાળક પણ ભાષાને આડે હાથે જ રાખશે.’ અને આ ખૂબ જ સાચી વાત છે. શિક્ષણ વ્યવસ્થા, સરકાર તે સૌની પહેલા માતા-પિતાની ફરજ હોય છે કે તેમનું સંતાન એ ભાષાને પ્રેમ કરે. ભાષા ઉપર સારી પકડ હોવી એ આજે પણ કોઇપણ વ્યક્તિના ઉત્તમ ગુણોમાં સ્થાન પામે છે.
રક્ષાબા આ સંપૂર્ણ સંવાદમાં ગુજરાતી ભાષા વિશે, તેના વ્યાકરણ, તેના સાહિત્ય વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપે છે. સાથે સાથે તેઓ ખુદ પણ એક શિક્ષક હોવાની સાથે ખૂબ જ સુંદર કવયિત્રી છે. તેમની લિખિત છંદયુક્ત કવિતાઓ, બાળગીતો, વાર્તાઓ ગુજરાતી ભાષામાં સર્જાયેલા ઉત્તમ સાહિત્યમાં સ્થાન પામે છે. તેઓ જણાવે છે કે તેમને કવિતાઓ લખવી ખૂબ જ ગમે છે અને લોકોને ભાષા તરફ લાવવા માટે, ભાષા સાથે પ્રેમ કરાવવા માટે સાહિત્યથી ઉત્તમ કોઈ માધ્યમ નથી.
આ સંપૂર્ણ સંવાદ સાંભળવા જેવો છે. જો તમને પણ ગુજરાતી ભાષાથી પ્રેમ હોય તો ચોક્કસથી સાંભળવો જ જોઈએ કેમકે આ સંવાદ થકી તે પ્રેમ હજી વધશે, હજી ગાઢ થશે અને જો આપને ગુજરાતી ભાષામાં ગડમથલ થાય છે તો આ સંવાદ તમારે બિલકુલ ચૂકવો ન જોઈએ. જુઓ રક્ષાબા સાથેનો ગુજરાતી ભાષા સાથે જોડાયેલો ખૂબ જ રસપ્રદ સંવાદ ગુજરાતી ભાષાને સમર્પિત એકમાત્ર એપ્લીકેશન તેમજ પ્લેટફોર્મ એવા JALSO PODCASTS પર.