For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

ગુજરાતી ભાષા વિશે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી! : પદ્મશ્રી કવિ તુષાર શુક્લ

ગુજરાતી-ભાષા-વિશે-ચિંતા-કરવાની-બિલકુલ-જરૂર-નથી-પદ્મશ્રી-કવિ-તુષાર-શુક્લ.jpg

ગુજરાતી ભાષા વિશે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી! : પદ્મશ્રી કવિ તુષાર શુક્લ

આપણે ત્યાં કહેવાય છે કે અમુક વ્યક્તિઓ સાથેનો સંવાદ એ માત્ર વાતો નથી હોતી, પણ જીવન જીવવાનું પાઠ્યપુસ્તક બની જતી હોય છે. તાજેતરમાં જ ‘જલસો પોડકાસ્ટ’માં સંચાલક નૈષધ પુરાણી અને ગુજરાતી સાહિત્ય તેમજ સંચાલન કલાનું ગૌરવ એવા પદ્મશ્રી કવિ શ્રી તુષાર શુક્લ  વચ્ચે આવી જ એક અદભુત બેઠક જામી.
આ સંવાદમાંથી નીતરેલા જ્ઞાન, અનુભવ અને સંવેદનાના મોતીઓને અહીં બ્લોગ સ્વરૂપે ગૂંથવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે.

રાષ્ટ્રપતિ ભવનની એ ‘રેર’ ક્ષણ: પદ્મશ્રી મળ્યાનો અનુભવ

જ્યારે ભારત સરકાર તરફથી તુષાર શુક્લને ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત થયો, ત્યારે દરેક ગુજરાતીએ ગૌરવ અનુભવ્યું. રાષ્ટ્રપતિ ભવનના એ શિસ્તબદ્ધ અને ભવ્ય વાતાવરણને યાદ કરતા તુષારભાઈ જણાવે છે:

“ત્યાં જઈને ખબર પડે કે જીવનના પાંચ-છ દાયકા પોતાના ક્ષેત્રમાં ઓગાળી દેનારી અદભુત પ્રતિભાઓ સામે આપણે તો માત્ર પગની ધૂળ છીએ. એટલે જ મંચ પર જતાં જ મેં સૌ પ્રથમ એ મંચને વંદન કર્યા.”

તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષતા નોંધતા કહ્યું કે, પીએમ દેશના ખૂણે-ખૂણામાંથી આવેલા સામાન્ય અવોર્ડીઝના કામથી પણ વ્યક્તિગત રીતે પરિચિત હતા, જે તેમની ગજબની સજ્જતા દર્શાવે છે. જોકે, આટલા મોટા રાષ્ટ્રીય સન્માન પછી પણ તુષારભાઈ સહજતાથી હસીને કહે છે, “વ્યક્તિ તરીકે મારામાં કોઈ ફેર નથી પડ્યો, આજેય જો ભીનો ટુવાલ પથારી પર રહી જાય તો પત્ની લડે જ છે!”

 માઇક્રોફોનનું જાદુ અને આજની પેઢીની ‘સંચાલન કલા’

આકાશવાણીથી શરૂ થયેલી પોતાની સફર અને મંચ સંચાલન (compering) વિશે વાત કરતા તેમણે આજે માઇક્રોફોન સામે આવતી નવી પેઢીને બહુ કિંમતી સલાહ આપી:

  • ઘરકામ (Homework) અનિવાર્ય છે: ભલે તમે વર્ષોથી માઇક પર બોલતા હો, પણ હોમવર્ક વગર ક્યારેય ન જવું. માઇક્રોફોન એવું જાદુ છે જે તમારી નાની ખૂબીને પણ મોટી દેખાડે છે અને તમારી નાનકડી ભૂલને પણ વિસ્તારીને લોકો સામે મૂકે છે.
  • પોતાના જજ પોતે બનો: પ્રોગ્રામ પૂરો થયા પછી તેનું રેકોર્ડિંગ શાંતિથી પોતે સાંભળો, જેથી ખબર પડે કે ક્યાં ભૂલ થઈ અને કયો શબ્દ ટાળવા જેવો હતો.
  • ખૂટતી કડીઓ: આજની પેઢીમાં રજૂઆત અદભુત છે, પણ વાચન-શ્રવણ ઓછું હોવાને કારણે શબ્દભંડોળની થોડી ખોટ વર્તાય છે અને ઉચ્ચાર શુદ્ધિ બાબતે હજુ વધારે ઘરકામ કરવાની જરૂર છે.
 “ગુજરાતી ભાષા વિશે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી!”

ભાષા મરી રહી છે તેવી વ્યાકુળતા રાખનારાઓ સામે તુષારભાઈ બહુ મક્કમતાથી કહે છે કે, ભાષા પ્રવાહમાન છે અને સમય સાથે તેમાં બદલાવ આવવો સ્વાભાવિક છે.

“ક્લીશે વાક્યો બોલવાની જરૂર નથી કે ‘ટેબલ પર અથાણું હશે ત્યાં સુધી ગુજરાતી રહેશે”. વાસ્તવમાં, ગુજરાતીપણું દરેક ગુજરાતીના ડીએનએમાં છે. જે એક શબ્દ પણ નથી બોલતો, એ પણ સમય આવ્યે પોતાનું ગુજરાતીપણું પ્રગટ કરે જ છે.”

તેમણે ઉમેર્યું કે, ભાષા અને સાહિત્ય બે જુદા વિષયો છે. તમે કોઈને ગુજરાતી ભાષા શીખવાનો આગ્રહ ચોક્કસ કરી શકો, પણ તેને કાંત કે કલાપીના સાહિત્યમાં જ રસ પડે એવો આગ્રહ ન રાખી શકાય.

સૂરના સથવારે વહેતો શબ્દ લાંબુ અંતર કાપે છે

તુષાર શુક્લના ગીતો જેમ કે, “તારી હથેળીને દરિયો માનીને…”, “પૂછીને થાય નહીં પ્રેમ…”, કે ફિલ્મ મેઘધનુષનું ગીત “કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહીં…” પેઢીઓ સુધી પહોંચ્યા છે. ગીતની વ્યાખ્યા આપતા તેઓ ગૌરાંગ વ્યાસની એક વાત યાદ કરે છે:

“સ્વરાંકન અને ગીત એવા હોવા જોઈએ કે સાંભળનારનું માથું હલે એ તો કાવ્ય સંગીત, પણ આપણો માલ એવો હોવો જોઈએ કે સાંભળનારનો પગ હલવા માંડે! ગીતનું ચામ એનું મુખડું છે, જે ચહેરાની જેમ પહેલી નજરે ગમી જવું જોઈએ.”

તેમણે ક્ષેમુ દિવેટિયા, અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ જેવા સુગમ સંગીતના દિગ્ગજો સાથેના સંસ્મરણો વાગોળ્યા અને નવી પેઢીના સિંગર્સને વિનંતી કરી કે, ખાસ કરીને લોકગીતો (જેમ કે ‘વેણુ વરિયાળી’ કે ‘કાનજીને ભાવે કરમદા’) ગાતી વખતે લોકબોલીના મૂળ લહેકા અને ઉચ્ચારોને વફાદાર રહેવું જોઈએ, ત્યાં શિષ્ટ ભાષા કામ નથી આવતી.

આજની પેઢી: અસ્તિત્વ (Existence) અને વ્યક્તિત્વ (Personality)

આજના કૌટુંબિક સંબંધો, એકલતા અને વિભક્ત કુટુંબોની ચિંતાજનક સ્થિતિ પર તુષારભાઈએ બહુ ઊંડું ચિંતન રજૂ કર્યું. તેઓ કહે છે કે આજની પેઢી ખોટી નથી, પણ તે ‘સ્વકેન્દ્રિત’ છે:

“આ પેઢી પોતાના અસ્તિત્વ અને વ્યક્તિત્વ બાબતે અતિશય સભાન છે. જ્યાં એમને લાગે કે માતા-પિતા, પતિ કે પત્નીના કારણે એમના અસ્તિત્વ કે ફ્રીડમને ઠેસ પહોંચે છે, ત્યાં એ લોકો કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. આ ચક્કરમાં તેઓ લગ્ન કે સંતાન જેવી જવાબદારીઓથી દૂર ભાગી રહ્યા છે.”

પણ તેઓ બહુ સુંદર ચેતવણી પણ આપે છે કે, ઘરમાં વડીલોનું હોવું એ પ્રેશર કુકરના વાલ્વ જેવું છે, જે પરિસ્થિતિ બગડતા પહેલાં તેને શાંત કરી દે છે. સંબંધોની માવજત સમયસર કરી લેવી જોઈએ, કારણ કે જ્યારે પપ્પાના કરચલીવાળા હાથ પર હાથ ફેરવવાનું મન થશે, ત્યારે કદાચ પપ્પા નહીં હોય અને તમારા પોતાના હાથ પર કરચલીઓ વળી ગઈ હશે.

ઉપસંહાર

કવિ તુષાર શુક્લની વાતોમાં કોઈ ઉપદેશ નથી, પણ એક અનુભવી પિતા અને સંવેદનશીલ કવિનો હૃદયસ્પર્શી સંવાદ છે. બદલાતા સમય સાથે વહેતા રહેવું અને સંબંધોની સુગંધ સાચવી રાખવી એ જ આ આખા પોડકાસ્ટનો નીચોડ છે.

કવિશ્રી તુષાર શુક્નીલ કઈ વાત તમારા દિલને સીધી સ્પર્શી ગઈ? નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો!

(આવા જ સુંદર સુગમ સંગીત અને સાહિત્યના ખજાના માટે ‘જલસો’ એપ્લિકેશન પ્લેસ્ટોર અને એપસ્ટોર પરથી ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં!)

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz